Dhoni In 2019 World Cup



શું ધોની નહિ રમે 2019નો વર્લ્ડકપ?, ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે શનિવારે દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહની પ્રશંસા કરતા સ્પષ્ટ કર્યું કે, 2019ના વર્લ્ડકપ સુધી તે ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર હોઈ શકે છે. તેમણે કહ્યું કે, જે યુવા વિકેટકીપરોને તક આપવામાં આવી છે તેમાંનો કોઈપણ ધોનીની નજીક પહોંચી શક્યો નથી.
પ્રસાદની વાતથી તો સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીના કેપ્ટન ઋષભ પંત વિશે હવે વધુ વિચારી રહ્યાં નથી કારણ કે, 32 વર્ષીય દિનેશ કાર્તિકને હવે બીજા વિકેટકીપર તરીકે તક અપાઈ રહી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ધોનીને દરેક સીરીઝ સાથે જોઈ રહ્યાં છે ત્યારે તેમણે કહ્યું કે, ‘અમે કેટલાક વિકેટકીપર્સને ભારત એના પ્રવાસ દરમિયાન ગ્રૂમ કરી રહ્યાં છીએ. પણ અમે લગભગ નક્કી કરી ચૂક્યાં છીએ કે, વર્લ્ડકપમાં ધોની વિકેટકીપિંગ કરશે. ત્યારબાદ અમે કેટલાક વિકેટકીપરોને ગ્રૂમ કરવાનું શરૂ કરીશું.
પ્રસાદે કહ્યું કે, ‘મને લાગે છે કે, એમએસ ધોની હજુ પણ દુનિયાનો નંબર 1 વિકેટકીપર છે. અમે વારંવાર વાત રિપીટ કરીએ છીએ કારણ કે, શ્રીલંકા વિરુદ્ધની વર્તમાન સીરીઝમાં પણ તેણે જે પ્રકારના સ્ટમ્પિંગ કર્યા અને કેચ પકડ્યા છે તે શાનદાર છે.
તેમણે વધૂમાં કહ્યું કે, ‘ભારતીય ક્રિકેટની તો વાત રહેવા દો વર્લ્ડ ક્રિકેટમાં પણ ધોનીની સમકક્ષ આવી શકે તેવો કોઈ વિકેટકીપર નથી.પ્રસાદના નિવેદન બાદ નક્કી થઈ ગયું છે કે, 2019માં પણ ધોનીજ વિકેટકીપિંગ કરશે અને યુવા વિકેટકીપર્સને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે 2019 સુધી તો રાહ જોવી પડશે.

પ્રસાદની વાત ઋષભ પંત અને સંજૂ સેમસન જેવા વિકેટકીપર માટે ચિંતા પેદા કરનારી છે. પ્રસાદે કહ્યું કે, ‘હું તમને સ્પષ્ટપણે કહું, તે ખેલાડીઓ હજુ સુધી અમારી અપેક્ષાઓના સ્તર સુધી પહોંચી શક્યા નથી. અમે તેમને ભારત પ્રવાસમાં તકો આપી રહ્યાં છીએ, જોઈએ કે, ભવિષ્યમાં તેઓ કયા સ્તરનું પ્રદર્શન કરે છે.