નવરાત્રી : ધર્મ પાછળનું વિજ્ઞાન
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjKOJV2pu17udIwGSeGtSUZFqoC_uoidtC8swh_UjpNi-08T3rTjwlMHUZahr8SZdogadsy3-LZBAv6xN3j13xTOT4OeA_74SbaH8NLOqg58Mtef7VwgLsRrSfzFRM-FQUIoeQevFbuZ5-Y/w400-h225/Ambe.jpg)
નવરાત્રીમાં
કન્યાપુજન અને વ્રત-ઉપવાસ કેમ કરવા જોઈએ?
પૂજાની શરૂઆતમાં
કળશ કેમ સ્થાપિત કરવામાં આવે છે?
ઋતુઓના
સંધિકાળમાં જ નવરાત્રી કેમ આવે છે?
દેવી દુર્ગાનો
અવતાર કેમ થયો?
મહિલાઓ પ્રત્યે સન્માન દર્શાવવાનું આ મહાપર્વ છે. આ પર્વનો બોધપાઠ એ છે કે ક્યારેય કોઇપણ મહિલાનો અનાદર કરવો જોઇએ નહીં. ભગવાન શિવ અને વિષ્ણુ મહિષાસુરનો વધ કરી શકતા નહોતા. જે કામ દેવતાઓ કરી શક્યાં નહીં, એ કામ દેવી દુર્ગાએ કર્યું હતું.
હાલ આસો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની નવરાત્રિનું મહત્ત્વ અન્ય ત્રણ નવરાત્રિ કરતાં વધારે છે. દેવીભક્ત આ દિવસોમાં વ્રત-ઉપવાસ કરે છે, કન્યાઓને ભોજન કરાવે છે. કળશ સ્થાપિત કરે છે. નવરાત્રિ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે અને બધી જ માન્યતાઓ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. જાણો નવરાત્રિ સાથે જોડાયેલી આવી જ માન્યતાઓ વિશે...
કન્યાપૂજન કેમ કરવામાં આવે છે?
નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. 2થી 10 વર્ષની કન્યાઓને નવરાત્રિમાં ભોજન કરાવવામાં આવે છે, દાન આપવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. ઉંમર પ્રમાણે નાની બાળકીઓને અલગ-અલગ દેવીઓનું સ્વરૂપ માનવામાં આવે છે. 2 વર્ષની કન્યાઓને કુમારિકા કહેવામાં આવે છે. 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની સાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા કહેવામાં આવે છે.
નાની કન્યાઓનાં મનમાં કોઇપણ પ્રકારના ખરાબ ભાવ હોતા નથી. તેમના મનમાં બધા માટે પ્રેમ રહે છે, એટલે તેમને દેવીસ્વરૂપ માનીને નવરાત્રિમાં પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રિમાં તેમને ભોજન કરાવ્યા પછી પગ ધોવડાવવા અને પૂજા કરવી. શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપો. ફળ અને વસ્ત્રનું દાન કરો. પૂજામાં કન્યાઓ અને બધી મહિલાઓનું સન્માન કરવાનો સંકલ્પ લો.
ઋતુઓના સંધિકાળમાં જ નવરાત્રિ કેમ આવે છે?
હિંદુ પંચાંગ પ્રમાણે, એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંધિકાળમાં શરૂ થાય છે. સંધિકાળ એટલે એક ઋતુના પૂર્ણ થવા અને બીજી ઋતુના આવવાનો સમય. બે નવરાત્રિ સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની સામાન્ય નવરાત્રિ માનવામાં આવે છે. માહ અને અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. હાલ વર્ષાઋતુના જવાનો સમય છે અને શીત ઋતુ શરૂ થઇ રહી છે. નવરાત્રિના દિવસોમાં પૂજા-પાઠ કરીને ખાન-પાનને લગતી સાવધાનીઓ રાખવાથી આપણે સીઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.
નવરાત્રિમાં વ્રત કેમ કરવામાં આવે છે?
ઋતુઓના સંધિકાળમાં ઘણા લોકોને સીઝનલ બીમારીઓ, જેમ કે શરદી-તાવ, પેટનો દુખાવો, અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં રોગથી બચવા માટે લંઘન નામની એક વિધિ છે. આ વિધિ પ્રમાણે વ્રત કરવાથી રોગથી છુટકારો મેળવી શકાય છે.
નવરાત્રિમાં અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી. ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે. ફળ સરળતાથી પચી પણ જાય છે. દેવી પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંયમિત રહે છે, જેથી આળસ આવતી નથી. સવારે જલદી જાગવું અને પૂજા-પાઠ, ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ગુસ્સો અને અન્ય ખરાબ વિચાર દૂર રહે છે.
નવરાત્રિમાં કળશ સ્થાપના કેમ કરવામાં આવે છે?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiSsd0PAR0yjWDcZQP3MsFQRKkBWQM2_z32aozJc-gtfHWpNEZ56GdjfGkHsuFfH8NSYrWvAOcATwFpVXmkU1MUtyO8NbKPBNOpFXndvGuNhzax_jp7Sj-x3CzvEG5FjP5ScNGgVHWqM91c/s0/Kalash.jpg)
કળશને પંચતત્ત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચતત્ત્વ છે આકાશ, ધરતી, પાણી, વાયુ અને અગ્નિ છે. કળશ આ પાંચ તત્વથી મળીને બને છે. માટીમાં પાણી મિક્સ કરીને કળશ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેને આકાશ નીચે હવામાં સૂકવવામાં આવે છે. અગ્નિમાં પકવવામાં આવે છે. કળશ સ્થાપના કરતી સમયે એમાં જળ ભરવામાં આવે છે અને જળમાં બધા તીર્થનું અને બધી જ નદીઓનું આહવાન કરવામાં આવે છે.
કોઇપણ શુભ કામમાં આ બધાની પૂજા કરવી જરૂરી હોય છે. પંચતત્ત્વથી આપણું શરીર પણ બનેલું હોય છે. કળશના સ્વરૂપમાં પંચતત્ત્વ, તીર્થ અને નદીઓનું પૂજન કરવામાં આવે છે. કળશના મુખ ઉપર ભગવાન વિષ્ણુ, કંઠમાં શિવજી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ માનવામાં આવે છે. આ ત્રણેયની એકસાથે પૂજા માટે કળશની સ્થાપના કરવામાં આવે છે.
દેવી દુર્ગાનો અવતાર કેમ થયો?
દેવીએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાનું સ્વરૂપ લીધું હતું. દુર્ગા સપ્તશતીમાં દેવીના આ અવતાર વિશે ઉલ્લેખવામાં આવ્યો છે. વાર્તા પ્રમાણે મહિષાસુર નામના અસુરે સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો અને બધા દેવતાઓને ત્યાંથી ભગાડી દીધા. મહિષનો અર્થ ભેંસ થાય છે. મહિષાસુર પોતાની ઇચ્છા પ્રમાણે ભેંસનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો. તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે કોઇપણ દેવતા અને દાનવ તેને પરાજિત કરી શકશે નહીં.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjZxoBilJgo8AfUGS2yMn6Ng1ZFM_2FDiNR9TKwyeoZnRzYosoxLuSUXZq1NFy-bsFdGFmITbfFf6iQcQu7yH6PuQ2aEFob4s6ip0T0E_w-WgHblXj29jwnJlwq1RKfaAU3i_Q2_iuk6ZE4/w360-h202/Maa+Durga.jpg)
બધા દેવતા મળીને પણ મહિષાસુરનો સામનો કરી શક્યા નહીં. ત્યારે તેઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યા, પરંતુ બ્રહ્માજીના વરદાનના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ પણ મહિષાસુરનો વધ કરી શકતા નહોતા. ત્યારે બધા દેવતાઓના તેજથી દેવી દુર્ગા પ્રકટ થયાં.
શિવના તેજથી મુખ, યમરાજના તેજથી વાળ, વિષ્ણુજી દ્વારા હાથ, ચંદ્રથી વક્ષસ્થળ, સૂર્યથી પગની આંગળીઓ, કુબેરથી નાક, પ્રજાપતિથી દાંત, અગ્નિથી ત્રણેય નેત્ર, સંધ્યાથી ભૃકુટિ અને વાયુથી કાનની ઉત્પત્તિ થઇ. આ પ્રકારે દેવતાઓએ દેવીને પોત-પોતાની શક્તિઓ આપી હતી. ભગવાન શિવજીએ ત્રિશૂળ આપ્યું. અગ્નિદેવે પોતાની શક્તિદેવીને પ્રદાન કરી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર, વરુણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, દેવરાજ ઇન્દ્રએ વજ્ર ને ઘંટ, યમરાજે કાલદંડ ભેટ કર્યું. પ્રજાપતિ દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માજીએ કમંડળ, સૂર્યદેવે પોતાનું તેજ પ્રદાન કર્યું. સમુદ્રદેવે આભૂષણ ભેટ કર્યા. સરોવરે ક્યારેય ન કરમાયે તેવી માળા, કુબેરદેવે મધથી ભરેલું પાત્ર, પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે સિંહ ભેટ કર્યાં. દેવતાઓ દ્વારા મળેલી આ શક્તિઓથી દુર્ગાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરવાને કારણે દેવીને મહિષાસુરમાર્દિની કહેવામાં આવે છે.
=============================