Exam Pattern For 2020-21



ધો. ૯ થી ૧૨ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

કોરોના ના પગલે સ્કૂલ ખુલી નથી અને ક્યારે રાબેતા મુજબ ખુલશે તે પણ નક્કી નથી ત્યારે ક્લાસરૂમ શિક્ષણના અભાવે વિદ્યાર્થીઓ પર વાર્ષિક પરીક્ષાઓ-બોર્ડ પરીક્ષાનો તણાવ ન રહે તે માટે સરકારશ્રીની સુચનાથી બોર્ડે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે. જે મુજબ ધોરણ ૯ થી ૧૨ માં હવે ૩૦% હેતુલક્ષી પ્રશ્ન રહેશે અને ધોરણ ૧૨ સાયન્સમાં 50% એમસીક્યુ પેટર્ન યથાવત રખાઈ છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ માટે ધોરણ ૯, ૧૦ અને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી એટલે કે ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ ૨૦% થી વધારી હવે ૩૦% કરવામાં આવે છે.

જ્યારે વર્ણનાત્મક એટલે કે મોટા/વિસ્તારિત પ્રશ્નોનું પ્રમાણ ૮૦% હતું જે ઘટાડી ૭૦% કરવામાં આવે છે.

જ્યારે ધોરણ 12 સાયન્સમાં 50% એમસીક્યુ પેટર્ન યથાવત રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડ ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં એમસીક્યુ પેટર્ન દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ માર્ચ 2019 પૂરતું ઉગ્ર રજૂઆતો-માંગને પગલે 12 સાયન્સમાં એમ.સી.ક્યુ પેટર્ન યથાવત રાખી હતી અને 202 ની બોર્ડ પરીક્ષામાં એમસીક્યુ પેટર્ન ફાઇનલી દૂર થનાર હતી. પરંતુ કોરોનાના પગલે સ્કુલોમાં જ્યાં ક્લાસરૂમ શિક્ષણ થયું નથી અને પરીક્ષાનો તણાવ પણ વિદ્યાર્થીઓ પર ન રહે તે માટે બોર્ડે 12 સાયન્સમાં 50% એમ.સી.કયુ. પ્રશ્નોની પેટર્ન 2021ની બોર્ડ પરીક્ષા માટે યથાવત રાખી છે. જોકે ધોરણ ૧૦માં એમ.સી.ક્યુ. પેટર્ન નથી.

આ ઉપરાંત અન્ય ફેરફારોમાં ગુજરાત બોર્ડ ધોરણ ૯ થી ૧૨માં વર્ણાત્મક પ્રશ્નોમાં ઇન્ટર્નલ ઓપ્શનના બદલે જનરલ ઓપ્શન આપવાનું નક્કી કર્યું છે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઘણી સરળતા રહેશે.

બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર, પ્રશ્નપત્રનું માળખું અને નવા પરિરૂપની વિગતો તેમજ ધોરણ ૯ અને ૧૧ ના વિષયના સુધારેલ કોર્સ મુજબ પ્રકરણદિઠ ગુણભાર તથા પ્રશ્નપત્રના માળખાની વિગતો થોડા દિવસમાં વિધિવત રીતે જાહેર કરવામાં આવશે.

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મે-માસમાં લેવાનાર છે તથા ધોરણ ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા જૂનમાં થનાર છે ત્યારે ધોરણ ૯ અને ૧૧ માં વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર થનાર હતા તે પણ હવે બોર્ડને બદલે જે તે સ્કૂલ દ્વારા જ તૈયાર થશે. બોર્ડ દ્વારા આ ફેરફારો આ વર્ષ પૂરતા જ કરવામાં આવ્યા છે અને આ બાબતે તમામ ડી.ઈ.ઓ.ને પણ પરિપત્ર કરી સ્કુલોને જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગનો ઓફિસીઅલ પરિપત્ર

===========================

=========================