Std 12 Board Exam



ધો. ૧૨ ના તમામ પ્રવાહની પરીક્ષા જુલાઈમાં

·         રાજ્યમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 વિદ્યાર્થી પરીક્ષા આપશે

·         કોરોનાની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે એક ક્લાસમાં 20 વિદ્યાર્થીની બેસવાની વ્યવસ્થા હશે

·         પરીક્ષા કેન્દ્રોમાં વધારો કરીને વિદ્યાર્થીને સ્કૂલ નજીક પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે

·         કોરોનાની મહામારીની વચ્ચે ધો.12ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું એને લઈને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરુવારથી યોજાશે. ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં કોરોનાની SOPના ચુસ્તપણે પાલન સાથે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

·         6.83 લાખ વિદ્યાર્થી પરીક્ષામાં બેસશે

​​શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસવાના છે.

·         વિજ્ઞાન પ્રવાહની 3 કલાકની પરીક્ષા રહેશે

તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીના ઘડતર માટે મહત્ત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે.

·         પરીક્ષામાં કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાશે

આ જ પ્રમાણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ, 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો પર પણ સેનિટાઇઝર, થર્મલગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે, એવું ચૂડાસમાએ ઉમેર્યું હતું.

·         સ્કૂલ નજીક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર અપાશે

શિક્ષણમંત્રીએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય, સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે એની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય એવું પ્રેરક સૂચન આ બેઠકમાં કર્યું હતું. તદનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરાકાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે એ હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહીં હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

·         ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે નવેસરથી પરીક્ષા

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેસી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણને કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.1/7/2021થી શરૂ થનારી પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.

·         ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજાશે

​​​​​​​શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.